આ બંધુ માતા-પિતાના એક વિશેષ વર્તુળ(જૂથ) માટે છે. ઉખાણું લાગે છે ને? આપ સૌને થતું હશે કે માતા – પિતાનું વળી વિશેષ વર્તુળ શું હોઈ શકે? આ પ્રશ્નના જવાબમાં જત જણાવવાનું કે, જે મા-બાપના ઘરે માનસિક, શારીરિક કે પછી માનસિક અને શારીરિક એમ બંને રીતે દિવ્યાંગ બાળકનો જન્મ થયો હોય તે તમામ (પરમ આદરણીય) માતા – પિતાને આ લેખ દ્વારા વંદન કરવા છે.
એવું જોયુ, જાણ્યું અને અનુભવ્યું છે કે જેમને ત્યાં દિવ્યાંગ બાળકનો જન્મ થયો હોય તે માં-બાપ તેમના એ દિવ્યાંગ બાળકનું ખુબ ખુબ સરસ રીતે જતન કરતા હોય છે અને તે જતનનો દરજ્જો “પૂજા”થી જરાય ઉતરતો નથી હોતો.
આપણે ત્યાં કદરદાની (Sense of Appreciation) તો દુકાળ પ્રવર્તે છે. આપણી રૂઢ પરંપરામાં ખણખોદ અને કુથલીને જે મહત્વ મળ્યું છે, તેનાથી ચોથા ભાગનુંય મહત્વ પ્રશંસા કે વખાણને મળ્યું નથી! પણ આજે કદરદાનીના અભાવના આ શાપમાંથી મુક્ત થઈને દિવ્યાંગ બાળક ધરાવતા તમામ વાલીઓને નતમસ્તકે નમ્રતાપૂર્વક અને નિ:સ્વાર્થભાવે પ્રશંસા કરવી છે.
દિવ્યાંગ સંતાનના વાલીઓ તેમના એવા સંતાનને માત્ર ભરપુર પ્રેમ જ કરે છે એવું નથી. ખરેખર તો એવું દેખાય છે કે પોતાને ત્યાં જન્મેલા દિવ્યાંગ બાળક શક્ય તેટલું વધારે સુખ પામે તેવા અહર્નિશ પ્રયત્નો દરેક માં-બાપ કરતા હોય છે. આ પ્રયત્નોમાંથી માં-બાપ પોતાનું ચપટીક સુખ શોધી લેતા હોય છે.
શારીરિક રીતે દિવ્યાંગ બાળક તેના માં-બાપ માટે હંમેશા અગ્રતાક્રમમાં રહે છે. અન્ય બાળક કરતા તેના તરફ વધારે ધ્યાન અપાય છે. શારીરિક રીતે દિવ્યાંગ બાળકને તેની દિવ્યાંગતાને ઓળંગી જઈને કશુંક વિશેષ સિદ્ધ કરે ત્યારે માં-બાપનો હર્ષ ક્યાંય સમાતો નથી.
માનસિક રીતે દિવ્યાંગ બાળકને સાચવતા બાળકના માતા-પિતા બે ભૂમિકા ભજવે છે. (૧) વત્સલ માં-બાપની (૨) તાલીમ આપતા શિક્ષકની. માનસિક દિવ્યાંગ બાળકનો મનોવિકાસ એક તબ્બકે અટકી ગયો હોય છે અને શરીર ઉંમરના પ્રમાણમાં વધતું રહે છે. આ વિરોધાભાસ માં-બાપ માટે વિકટ પરિસ્થતિ સર્જે છે. બાળકના શરીરની માગ પૂરી કરવી અથવા તે પૂરી ન કરી શકાતી હોય તેનો વિકલ્પ પૂરો પડવો. વળી, માનસિક રીતે દિવ્યાંગ પુત્રીના જન્મદાતાની સ્થિતિ તો વિશેષ નાજુક હોય છે. આપણે ત્યાં તો સામાન્ય તંદુરસ્તી ધરાવતી દીકરીને પણ જો “સાપનો ભારો” ગણાવતી હોય તો દિવ્યાંગ દીકરીના વાલી પર તો પહાડ જેવડો બોજ જ પડ્યો ગણાય.
માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકના માતા-પિતાનું સ્થાન સૌથી ઉંચેરુ છે. “તીર”ના આસન પર બેસીને તપ કરવું અને આવા સંતાનના માં-બાપ હોવું તે એક સરખી રીતે ઉંચાઈ પર બનતી ઘટના છે. આવા બાળકના વાલીઓ પોતાનો જીવનક્રમ આવા સંતાનને કેન્દ્રમાં રાખીને ઘડે છે અને પોતાનું સર્વસ્વ હોમી દેવાની ભાવનાથી આવા બાળકનો ઉછેર હસતા હસતા અને ઈશ્વર સામે કશી જ ફરિયાદ કર્યા વગર કરે છે. આપણે ત્યાં તપ કરવું એટલે વસ્ત્રો બદલવા. જંગલમાં ચાલ્યા જવું, મંદિરમાં બેસવું, ધ્યાન કરવું, માળા ફેરવવી વગેરેને ગણવાનો રીવાજ થઇ ગયો છે, પણ સંસારમાં સર્જાતા અગ્નિકુંડ પર બેસીને તાપ કરતા સદ્દગૃહસ્થો અને સ્ન્નારીઓના કુટુંબમાં બનતી આ ઘટનાને સમજે સાવ સહજભાવે લઇ લીધો છે. પણ ના, એવું નથી. દિવ્યાંગ સંતાનના માં-બાપ હોવું તે સંસારમાં રહીને તપ કરવાની જ ઘટના છે. વળી, સૌથી મોટી અને નોંધપાત્ર વાત તો એ છે કે, દિવ્યાંગ સંતાનના માં-બાપ કશી જ લઘુતાગ્રંથી અનુભવ્યા વગર આવા બાળકોનો ઉછેર કરે છે. દરેક પ્રવાસ, સામાજિક સમાંરભો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે તમામ સ્થળે પોતાના આવા સંતાનને (બા – અદબ – બામુલાયઝા) સાથે રાખે છે. ઈશ્વરની જાણે વિશેષ પ્રસાદી હોય તેમ જ સમજીને આવા બાળકોનો હ્રદયપૂર્વક સ્વીકાર કરે છે.
ઉપર જે વાત લખી છે તે સામાન્ય સ્થિતિના માતા-પિતા જ નથી. સમજમ મોભાદાર, અગ્રણી, સક્રિય ગણાતા લોકોને પણ આ વાત યથાતથ સ્પર્શે છે.
ઈશ્વર કોને, શું, ક્યારે અને કેવું આપે તેનો કોઈ તાળો મળતો જ નથી. ત્યારે ઈશ્વર દ્વારા પોતાની ઝોળીમાં નંખાયેલા દિવ્યાંગ બાળકનો અદભૂત ધૈર્યથી ઉછેર કરનાર જગતના દરેક માતા-પિતાને કહેવું છે કે આપ જે કર્મ કરો છો તે ઈશ્વરની સમકક્ષ આપને મુકે તેવું છે. કારણ કે, આપ આપના દિવ્યાંગ બાળક માટે તો ઈશ્વર જ છો તે નિશ્ચિત છે. એટલે ઈશ્વરના એક માનવીય સ્વરૂપને (એટલે કે આપ સૌને) વંદન છે.
વ્યક્તિની ઉંચાઈ સામે જયારે શબ્દ નાના બને ત્યારે સમજવું કે, “શબ્દ” એ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરી લીધું છે. એ ભાવ સાથે આ વાત અહી પૂર્ણ કરીએ.