આપણો સમાજ હમેશા અસહાય વ્યક્તિઓની ઉપેક્ષા કરતો આવ્યો છે. તેમાં વધુ નિર્ધન હોય, અનાથ હોય, વૃદ્ધજન હોય કે દિવ્યાંગ હોય. જે વ્યક્તિની સમાજને સંભાળ લેવી પડતી હોય તે વ્યક્તિ ધીરે ધીરે ઉપેક્ષિત બનતી જાય છે.
તેમાં પણ દિવ્યાંગ જેમાં વ્યક્તિ બેકસુર હોય છે. તેમનામાં લઘુતાગ્રંથી આવવાનું કારણ આપણા સમાજનો તેમના પ્રત્યેનો ઉપેક્ષિત ભાવ. દિવ્યાંગો પ્રોતાની જાત માટે ખુબ હીનભાવ રાખે છે. હું નકામો છું! હું શું કરી શકું? હું કેવો પાપી હોઈશ કે કુદરતે મને આ સજા કરી! વગેરે સમાજ તરફથી તેમના માટે ઝીંકાતા વાક્યો તેમના મનમાં ઘર કરી જાય છે. સતત પોતાની જાતને હીણી માની લે છે.
ખરેખર તો આ દિવ્યાંગ વ્યક્તિ આપના સમાજનું એક અભિન્ન અંગ છે. જેનું વિભાજન / અલગ ન થઇ શકે. તેમ છતાં એક અથવા બીજા કારણોસર દિવ્યાંગોનો જે વિકાસ થવો હયે તે નથી થયો. તેનું કારણ સમાજમાં તેમના માટે રહેલી જળ માન્યતાઓ, રૂઢિઓ અને વલણો છે. સદીઓથી સમાજ દિવ્યાંગતા પ્રત્યેના હકારત્મક અને નકારાત્મક પ્રત્યાઘાતો વચ્ચે આંદોલિત થતો આવ્યો છું. જેમાં નકારાત્મક પલ્લું નમતું આવ્યું છે. સમાજના કુરિવાજો, જડતા, રૂઢિચુસ્તતા, ધાર્મિક લાગણીઓ અને શિક્ષણનું ઓછું પ્રમાણ મહત્વનો ભાગ ભજવે છે.
સમગ્ર વિશ્વમાં ૨૦૧૪ની ગણતરી મુજબ ૫૬ કરોડ દિવ્યાંગો છે તેમાં પુરાવારૂપ આંકડા બતાવે છે. તેમાં ભારતમાં ૨ કરોડ છ લાખ અને ગુજરાતમાં ૨૦૦૪ની ગણતરી પ્રમાણે સાડા દસ લાખ લોકો વિવિધિ દિવ્યાંગતા ધરાવે છે. દરેક રાજ્યમાં સરકાર દ્વારા સર્વે કરવા છતાં સાચી ગણતરી કરવી તે ઘણું મુશ્કેલ છે. બીજું કે હવે પછી પણ દિવ્યાંગો જન્મવાના નથી તેમ પણ સો ટકા કહી ન શકાય. સવાલ સંખ્યાનો નથી સમસ્યાનો છે.
દિવ્યાંગતા જુદા જુદા પ્રકારમાં સમાજને ઓળખ માત્ર ચાર પ્રકારના દિવ્યાંગોની છે. (૧) પ્રજ્ઞાચક્ષુ (૨) મુક-બધિર (૩) શારીરિક રીતે દિવ્યાંગ (૪) માનસિક રીતે દિવ્યાંગ. આ ચાર દિવ્યાંગોમાં પણ પેટા વિભાગો ઘણા પડે છે. પરંતુ દરેક દિવ્યાંગતા, તેમનું વર્ગીકરણ, તેમનામાં ખામી આવવાના જુદા-જુદા કારણો, જન્મ પહેલાના, જન્મ સમયના કે જન્મ પછીના, આવા બાળકોની ઉંમર પ્રમાણેના સામાજિક, મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક, કૌટુંબિક, રોજગારી વગેરેના જુદા-જુદા પ્રશ્નો તેમની તાલીમ, શિક્ષણ વ્યવસ્થા, સલાહ સુચન- માર્ગદર્શન, કાયદા વ્યવસ્થા વગેરે જોવા જઈએ તો ખુબ ગહન વિષય છે. જેણે આવા એકડા લેખથી સમજી કે સમજાવી ના શકાય. દરેક દિવ્યાંગતા, તેમની ઉંમરના, તેમના ઉછેરના, તેમના કુટુંબના પ્રશ્નો જુદા જુદા હોય છે. છતાં બધામાં સમાનતા એક જ છે કે, તેઓ દિવ્યાંગ છે. સામાન્ય માણસને કુદરત તરફથી બધું ઇન્દ્રિયો મળી છે. તેમાંથી તેમને એકાદ અંગ, કોઈપણ – ગમે તે કારણે ઓછું મળ્યું હોય તો શું તે કારણે તેમનું અસ્તિત્વ જ નકામું ગણાવાય? તેમને સામાન્ય માણસની જેમ જીવવાનો અધિકાર નથી?
સમાજ પણ દિવ્યાંગતાના પરિપ્રેક્ષ્યમાં હંમેશા વિવિધ મનોવલણો ધરાવતો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની અશિક્ષિત-અલ્પ શિક્ષિત પ્રજાની માન્યતા જેવી જ માન્યતા જયારે પોતાને સુધારેલો અને શિક્ષિત ગણાવતા સમાજમાં જોવા મળે ત્યારે ખરેખર આઘાત અને આશ્ચર્ય લાગે છે. દિવ્યાંગો માટે સમાજમાં વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે.
દિવ્યાંગ થવું તે પૂર્વ જન્મના કર્મનું ફળ છે.
દિવ્યાંગ બાળકના માતા-પિતાના પાપોનું ફળ છે.
દિવ્યાંગોને દાન આપવાથી, જમાડવાથી પુણ્ય મળે છે.
દિવ્યાંગ બાળકોને સમાજના પ્રસંગોમાં કે જાહેર સ્થળોએ લઇ જવા શરમજનક છે.
દિવ્યાંગો કામકાજ ના કરી શકે, તે લાચાર અને બિચારા છે.
દિવ્યાંગતા તે કુદરત તરફથી અપાયેલ શિક્ષા છે. તેમને મદદ કરવી એટલે ઈશ્વરના ન્યાયનો દ્વોહ કરવા બરાબર છે.
દિવ્યાંગ બાળકોને પોતાના ઘરે જન્મ તે દૈવી પ્રકોપ છે.
કોઈ બાવા કે ફકીર કે સાધુ પોતાની દૈવી શક્તિ વડે દિવ્યાંગતા દુર કરી શકે છે
સમાજમાં આજે પણ આવી માન્યતાઓ, અંધશ્રદ્ધા, દોરા-ધાગા કે ભૂવાના પ્રયોગો ચાલુ છે. આધુનિક યુગમાં આવા દિવ્યાંગો પ્રત્યે સરકારના વિવિધ પ્રયત્નોથી ખૂબ જાગરૂકતા આવી છે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમના શિક્ષણ અને પુન:સ્થાપન માટે કાર્ય કરી રહી છે. સમાજમાં સામાન્ય બાળક સાથે જે તેમને સ્થાન મળે તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ કેટલી સફળતા મળી તે આંકડામાં અને હકીકતમાં ક્યાંય મેળ પડતો નથી. છતાં સિંધુમાં જે માત્ર બિંદુ સમાન પ્રયત્નો હતા, તે હવે ગાગર સુધી પહોચ્યા છે. હવે વધુ આશા રાખી શકીએ. શિક્ષણની સમજ અને અનિવાર્યતા સમજાઈ ગઈ છે. સરકાર તરફથી મળતા વખતો વખતના લાભોની જાણકારી મેળવતા થયા છે. તેથી આગળ વધીને દિવ્યાંગોને તાલીમ અને શિક્ષણ દ્વારા સ્વાવલંબી બનાવવાના પ્રયત્નો થવા લાગ્યા છે. તેમની પાસે કયું અંગ છે અને કયું અંગ નથી ના હિસાબ કર્યા સિવાય જે પણ છે તેને સ્વીકારીને તેમનામાં રહેલી શક્તિઓને ધ્યાનમાં રાખી તેમની યોગ્યતા અનુસાર રોજગારીલક્ષી શિક્ષણ આપવું અને પોતાના કુટુંબ પર કે સમાજ પર બોજો ન બને. સ્વનિર્ભર બની સ્વમાનભેર આત્મવિશ્વાસથી જીવન જીવતા થાય તે અગત્યનું છે. તે માટે સહાનુભુતિ, શિક્ષણ, તક અને પ્રેરણા- પ્રોત્સાહન સમાજ તરફથી મળવું જરૂરી છે. અને આ સમાજ એટલે કોણ…? તમે અને અમે…!
લેખક: ચંદારાણા કુસુમબેન જી. આચાર્ય – બહેરા મૂંગાની શાળા, પાટણ